બહુપ્રતિક્ષિત ફિલ્મ “ગવર્નર”ના પ્રમોશન અંતર્ગત અભિનેતા મનોજ બાજપેયીએ આજે અમદાવાદની મુલાકાત લીધી હતી. ટ્રેલરને મળેલા જબરદસ્ત પ્રતિસાદ બાદ યોજાયેલા આ ખાસ પ્રમોશનલ કાર્યક્રમમાં મનોજ બાજપેયીએ મીડિયા પ્રતિનિધિઓ અને ચાહકો સાથે ઉષ્માભર્યો સંવાદ કર્યો હતો.
૧૯૯૦ના દાયકાના ભારતીય આર્થિક સંકટની ઐતિહાસિક અને ઊંડાણપૂર્વકની પૃષ્ઠભૂમિ પર આધારિત આ ફિલ્મ રિલીઝ પહેલાં જ દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. અમદાવાદ ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન મનોજ બાજપેયીએ ફિલ્મ સાથે જોડાયેલા પોતાના અનુભવો, પાત્રની તૈયારી અને ફિલ્મના મહત્વપૂર્ણ પાસાઓ અંગે માહિતી આપી હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત ચાહકોએ મનોજ બાજપેયી સાથે ફોટોગ્રાફ્સ લીધા અને ફિલ્મ અંગે ઉત્સુકતા વ્યક્ત કરી હતી. મીડિયા સાથેની વાતચીત દરમિયાન મનોજ બાજપેયીએ જણાવ્યું હતું કે “ગવર્નર” માત્ર એક ફિલ્મ નહીં પરંતુ ભારતના આર્થિક ઇતિહાસના મહત્વપૂર્ણ સમયગાળાને રજૂ કરતી એક પ્રેરણાદાયી કહાની છે.
“સનશાઇન પિક્ચર્સ”ના બેનર હેઠળ નિર્મિત અને ચિન્મય માંડલેકર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 12 જૂન, 2026ના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મના ગીતો જાવેદ અખ્તર દ્વારા લખવામાં આવ્યા છે જ્યારે સંગીત અમિત ત્રિવેદીએ આપ્યું છે. અમદાવાદના કાર્યક્રમ બાદ ફિલ્મ પ્રત્યે દર્શકોમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો.





