Gujarat Headline News Top Stories

શનિદેવની સાડા સાતી પનોતીથી લોકો ભયભીત થઇ જાય છે પરંતુ શનિદેવ દયાળુ દેવ છે : શ્રી રંગનાથાચાર્યજી મહારાજ

શ્રી નાગરવેલ હનુમાનજી મંદિર ખાતે શ્રી શનિદેવ જન્મોત્સવની લઘુરૂદ્રાભિષેક સાથે ભવ્ય ઉજવણી કરાઈ

અમદાવાદના અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ પ્રાચીન શ્રી નાગરવેલ હનુમાનજી મંદિર ખાતે શ્રી શનિદેવ મહારાજની જન્મોત્સવની ભારે ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી હતી.વહેલી સવારથી શનિભક્તોએ શનિદેવને તેલ, પુષ્પ, ફૂલહાર અને દિપ પ્રગટાવી પૂજા અર્ચના કરી હતી.સાથે-સાથે કાળું કાપડ, કાળા અડદ, કાળા તલ, કાળી છત્રી, કાળા બુટ ચંપલ અને લોખંડની વસ્તુઓ અર્પણ કરી જીવનની ધન્યતા અનુભવી હતી અને શનિદેવની શુભકૃપા દ્રષ્ટિ અને મહેર હંમેશા બની રહે તે માટે મંગલ કામના કરી હતી.આ જન્મોત્સવ પ્રસંગે શનિદેવ મંદિરમાં આવેલ શનિદેવની ભવ્ય શીલા ઉપર સરસોના તેલથી મંત્રોચાર સાથે મંદિરના પૂજારીઓ અને શનિભક્તો દ્વારા લઘુરૂદ્રાભિષેક કરવામાં આવ્યું હતું. મંદિરના પટાંગણમાં સમગ્ર વિશ્વમાં શાંતિ અને માનવ સમાજનાં કલ્યાણ અર્થે શનિહવનનું આયોજન કરી આહુતિઓ આપવામાં આવી હતી. સાથે-સાથે બટુક ભોજન અને શનિદેવની ભવ્ય મંગલ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી શનિ જન્મોત્સવના શુભ પ્રસંગે શ્રી નાગરવેલ હનુમાન મંદિરના મહંત શ્રી રંગનાથાચાર્યજી મહારાજે ભાવિક ભક્તોને જણાવ્યું હતું કે આપણે ત્યાં વૈશાખ માસની વદ અમાવાસ્યાનો દિવસ શનિદેવના જન્મોત્સવ તરીકે ઉજવાય છે.શનિ મહારાજ કળિયુગના અધિપતિ દેવ છે.શનિદેવનું નામ પડતા જ લોકો ગભરાઈ જાય છે અને સાડા સાતી કે પનોતીથી પણ લોકો ભયભીત થઇ જાય છે,પરંતુ વાસ્તવમાં શનિદેવ દયાળુ દેવ છે.શનિ એ સૂર્યપુત્ર છે.શનિ મહારાજની ઉપાસના કરી તેમની શરણાગતિ સ્વીકારનારને અનેક ફાયદાઓ થાય છે.કોઈપણ વ્યક્તિ પોતાની ફરજ તથા કાર્યો નિષ્ઠા તથા પ્રામાણિકતાપૂર્વક બજાવે તેના સઘળા મનોરથ શનિદેવ પૂર્ણ કરે છે તથા અનંત સુખ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે.શનિ મહારાજની કૃપા મેળવવા ભક્તોએ વિધિ વિધાનપૂર્વક અનુષ્ઠાન, મંત્રજાપ તથા સેવા પૂજા કરવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published.