ગોબલજ ગામે ગાય માતાની ગૌચર જમીનને ગેરકાનૂની રીતે વેચી દેતા ગ્રામજનો અને ભૂમાફિયાઓ ઘર્ષણ, ગૌભક્તોને જાનથી મારી નાખવાની ધમકી મળી ખેડા ગોબલજ : ખેડા જિલ્લાના ગોબલજ ખાતે મલ્ટીપલ ચીટ સ્કીમના સાબરમતી જેલમાં રહી આવેલ આરોપી દક્ષેશ મહેન્દ્ર શાહે ગોબલજ ગામની કરોડોની ગૌચર જમીન ગેરકાનૂની રીતે વહેંચી દેતા મામલો ગરમાયો છે અને ગૌભક્તોને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે, આ ગૌચર જમીન સરકારની કે કલેક્ટરની માલિકીની નહીં પરંતુ પશુધનની અને ગોપાલકોની માલિકીની છે. જેથી ગૌચર જમીન કોઈ પણ હેતુ માટે આપી શકાય નહીં. આ મુજબ નામદાર ગુજરાત હાઇકોર્ટે પીઆઈએલ નંબર ૧૭/૨૦૧૧ માં ચુકાદો આપીને, સેકડો હેક્ટર ગૌચર જમીન પરત મેળવીને, પશુ ધનને અને ગોપાલકોને પરત આપી છે. આ ઐતિહાસિક ચુકાદાને કારણે પશુધન બચવાની સાથે ગૌચર જમીન બચશે તેવો ગોપાલકોને પૂર્ણ વિશ્વાસ છે.

આ સમગ્ર મુદ્દા અંગે વાત કરતા ગૌભક્ત જશુભા એ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં આજે માંડ સાડા આઠ લાખ ગૌચર જમીન જ બચી છે, એટલે કે પશુ ધનની જન સંખ્યાની સામે ફક્ત વીસ ટકા જ ગૌચર જમીન બચી છે. જેમાં “૧૦૦ પશુ ધનની સંખ્યાની સામે સોળ હેક્ટર ગૌચર જમીન અનામત રાખવામાં આવશે” તેવી સરકારની નીતિને ધોઈને પી જવામાં ભૂમાફિયા અને સરકારના ભ્રષ્ટ અધિકારીઓનું ગઠ બંધન આજે સફળ થઈ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. આવા લોકોનાં પાપે અને ગૌચર જમીનના અભાવે રાજ્યના ગામો અને શહેરોમાં લાખો પશુઓ અને ગાય માતાઓ પ્રજાએ ફેંકી દીધેલા પ્લાસ્ટિક/કાગળો ખાઈને જીવન ગુજારે છે.
તમને જણાવી દઈએ કે, ગોબલજ ગામની જમીન પર ગરીબોના કરોડો રૂપિયા ચાઉ કારણના મહા ઠગ દક્ષેશ મહેન્દ્ર શાહની ગેર કાનૂની પ્રવૃત્તિઓ રોકવા માટે ખેડા જિલ્લાએ, ગોબલજ ગામના રહેવાસીઓએ, ગોપાલકોએ અને ભૂતપૂર્વ સરપંચ શ્રી દિલીપભાઈ પટેલ વગેરે એ છેલ્લા ૨૭ વર્ષથી ઘરના પૈસે અને જાન માલનાં જોખમે આંદોલન અને રજૂઆત કરી રહ્યા છે કે, આ ગામની ગૌચર જમીન કોઈને પણ કોઈ હેતુ માટે આપી શકાય નહીં, અને જ્યારે આપી છે, તો સાત વાર ગોબલજ ગામ ની જમીનની મૂળ શરતનો ભંગ થતાં, આ જમીન શ્રી સરકાર કરીને ગોપાલકોને પરત આપીને પશુ ધનનું આશ્રય સ્થાન બનાવવું જોઈએ.
જેથી આ તમામ ગૌ ભક્તો દ્વારા સૌથી મોટા ગૌભક્ત એવા વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની તપાસ કરવાનાં આદેશ બાદ પણ દક્ષેશ મહેન્દ્ર શાહ નેતાઓનાં નામે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યો છે. આ ઉપરાંત રજૂઆત કરનારા ભોળા ગ્રામવાસીઓને ડરાવી અને મારવાની ધમકીઓ આપી રહ્યો છે. દક્ષેશ મહેન્દ્ર શાહ, મોટો નેતા હોય તેમ સોશિયલ મીડિયા પર પ્રવચનો કરીને ગોપાલો અને ચીટ ફંડ અને ફરિયાદી અને સાક્ષીઓને પોતે નેતા છે, તેવી ઇમેજ ઊભી કરીને ચૂપ રહેવાની આડ કતરી ધમકી આપી રહ્યો છે.





