દેશના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જીના વડાપ્રધાન તરીકેના યશસ્વી અને જનકલ્યાણકારી કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઉત્તરાખંડના પવિત્ર તીર્થસ્થળ બદ્રીનાથ ધામ ખાતે ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ દ્વારા વિશેષ મહા અભિષેક કરવામાં આવ્યો હતો.

આ પાવન અવસરે મેયરશ્રી મીરાબેન પટેલે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી જીના દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને અવિરત રાષ્ટ્રસેવા માટે પ્રાર્થના કરી હતી. તેમણે ઈશ્વરને પ્રાર્થના કરી કે પ્રધાનમંત્રીશ્રીને વધુ શક્તિ, સ્ફૂર્તિ અને સફળતા પ્રાપ્ત થાય તેમજ તેઓ દેશના સર્વાંગી વિકાસ, જનકલ્યાણ અને ભારતને વૈશ્વિક સ્તરે વધુ ગૌરવ અપાવવાના કાર્યોમાં સતત કર્તવ્યરત રહે. મેયરશ્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશે વિકાસ, સુશાસન, આત્મનિર્ભરતા અને વૈશ્વિક પ્રતિષ્ઠાના નવા આયામો હાંસલ કર્યા છે.

તેમના 12 વર્ષના કાર્યકાળ દરમિયાન જનકલ્યાણ અને રાષ્ટ્રનિર્માણના અનેક ઐતિહાસિક નિર્ણયો દ્વારા દેશના કરોડો નાગરિકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. બદ્રિનાથ ધામ ખાતે યોજાયેલા આ મહા અભિષેક દરમિયાન દેશની સમૃદ્ધિ, શાંતિ, પ્રગતિ અને સર્વાંગી વિકાસ માટે પણ વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી.





